મેડિકલ જર્નલ ‘લાંસેટ’એ વડાપ્રધાનની આકરી આલોચના કેમ કરી?

1823 માં શરુ થયેલ વિશ્વના મશહૂર મેડિકલ જર્નલ- ‘The Lancet’-‘લાંસેટ’માં 8 એપ્રિલ 2021 ના રોજ, ભારતના વડાપ્રધાનની આકરી આલોચના કરવામાં આવી છે. લાંસેટ editorialમાં લખે છે : [1] ધ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુશનની ચેતવણી મુજબ ભારતમાં 1 ઓગષ્ટ 2021 સુધીમાં 10 લાખ લોકોના મોત થશે ! આ રાષ્ટ્રીય તબાહી માટે વડાપ્રધાન જવાબદાર હશે ! [2] હોસ્પિટલ ભરાયેલી છે; હેલ્થ સ્ટાફ થાકી ગયો છે અને સંક્રમિત થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર હતાશા દેખાઈ રહી છે. ડોક્ટર અને દર્દીઓ મેડિકલ ઓક્સિજન માંગી રહ્યા છે. બેડ/વેન્ટિલેટર/દવાઓ/ઈન્જેકશનો માંગી રહ્યા છે. [3] મોટા મેળાવડા સુપરસ્પ્રેડર બનશે તેવી ચેતવણી મળી હતી છતાં સંક્રમણ ઘટે તેવા પગલાં લેવાને બદલે કુંભમેળાની મંજૂરી આપી. ચૂંટણીસભાઓ/રેલીઓમાં ભીડ એકત્ર કરી. કોરોના પ્રોટોકોલની મજાક ઉડાવી ! [4] કોરોનાની પ્રથમ લહેર ધીમી પડતા ઢીલ મૂકી દીધી. નિષ્ણાતોએ બીજી લહેર અને નવા સ્ટ્રેનની ચેતાવણી આપી હતી છતાં સરકારે ધ્યાન ન આપ્યું. [5] એવું ખોટું આંકલન કરી લીધું કે ભારત હર્ડ ઈમ્યુનિટીના સ્તર સુધી પહોંચી ગયું છે. એટલે કોરોના સામે જુસ્સાપૂર્વક તૈયારી કરવામાં ન આવી. વાસ્તવમાં ICMR-ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ મુજબ માત્ર 21% લોકોમાં કોરોના સામે એન્ટિબોડી વિકસિત થઈ શકી હતી. જ્યારે બીજી લહેર શરુ થવાની હતી ત્યારે; માર્ચ 2021ની શરુઆતમાં ભારતના હેલ્થ મિનિસ્ટરે ઘોષણા કરેલ કે કોરોના વાયરસ ઉપર જીત મેળવી લીધી છે ! [6] વેક્સિનેશન અભિયાનની શરુઆત ધીમી રહી. 2% થી ઓછી વસતિનું વેક્સિનેશન થયું. રાજ્ય સરકારો સાથે ચર્ચા/વિમર્શ કર્યા વિના વેક્સિનેશનની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા. જેથી લોકોને હાલાકી ભોગવવી પડી. [7] ભારતના PM કોરોના મહામારી સામનો કરવાને બદલે આલોચનાઓને દબાવવામાં વધુ ધ્યાન આપે છે. લોકોએ ટ્વિટર ઉપર PMની આલોચના કરી તે ટ્વીટ્સ સરકારની સૂચનાથી હટાવી દેવામાં આવી ! ટ્વિટર ઉપર જેમણે બેડ/ઓક્સિજનની માંગણી કરી તે દેશદ્રોહ હોય એ રીતે તેમની વિરુધ્ધ નેશનલ સીક્યુરિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી તે ઉચિત ન કહેવાય. શું મેડિકલ હેલ્પ માંગવી તે ગંભીર ગુનો છે? આવા મુશ્કેલ સમયે પોતાની આલોચના અને ખૂલ્લી ચર્ચાને દબાવવાની વડાપ્રધાનની કોશિશ માફીપાત્ર નથી !

લાંસેટે કોરોના મહામારી નિયંત્રિત કરવા બે ઉપાય સૂચવ્યા છે : [1] વેક્સિનેશનની ગતિ તેજ કરવી; શક્ય હોય તેટલી. લોકલ વહિવટીતંત્ર અને પ્રાઈમરી હેલ્થ કેયર સેન્ટર સાથે મળીને કામ કરે અને વેક્સિનનું સારી રીતે વિતરણ કરે. [2] વેક્સિનેશન સાથે સાથે ઈન્ફેક્શન ન ફેલાય તે માટે શક્ય તેટલા પ્રયત્નો કરવા. સાચા ડેટા સામે રાખવા જેથી પૂરી તૈયારી સાથે આગળની યોજના બનાવી શકાય.
એપ્રિલ 2021 સુધી સરકારી ટાસ્ક ફોર્સ એક વખત પણ મળી ન હતી. પરિણામ સામે છે. સરકારે કોરોના મહામારીને પ્રાથમિકતા આપી ન હતી. સરકારની પ્રાથમિકતામાં રામમંદિર નિર્માણ/ત્રણ કૃષિ કાનૂન/સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ/કુંભમેળો/ચૂંટણીસભાઓ વગેરે હતાં. સરકાર કામમાં ધ્યાન આપવાને બદલે આલોચના કરનારા લોકોની સામે પડી છે. આલોચનાથી બચવા માટે સરકાર મોતના આંકડા છૂપાવી રહી છે. દેશભરમાં રોજે 25000 થી વધુ મોત થઈ રહ્યા છે; છતાં 3500/4000 મોત દર્શાવે છે ! લોકો વેક્સિન માટે લાઈનમાં ઊભા રહે છે; પૂરતી વેક્સિન ઉપલબ્ધ નથી. મહામારી વધી છે. ભારતે નવા પગલાં ભરવા પડશે. એની સફળતાનો આધાર એ વાત પર નિર્ભર કરશે કે સરકાર પોતાની ખામીઓને માને છે કે નહી; અને દેશને પારદર્શક નેતૃત્વ પૂરું પાડે છે કે નહીં ! પરંતુ હાલ શું દેખાઈ રહ્યું છે? પૂર્વ આયોજનના અભાવે, આગ લાગી ત્યારે કૂવો ખોદવાનો દેખાવ કરી વડાપ્રધાન લોકોને ભ્રમિત કરી રહ્યા છે !
-રમેશ સવાણી
Post a Comment

Post a Comment